Sunday, January 25, 2015

સ્વ-ધર્મ અને પર-ધર્મ


વાત છે આઝાદી પહેલાની. ગુજરાતમાં એક મહાન વનસ્પતિ-શાસ્ત્રી થઇ ગયા. જયકૃષ્ણ ઈન્દ્રજી એમનું નામ.

વનસ્પતિશાસ્ત્રના તેઓ એવા તે અઠંગ અભ્યાસી અને નિષ્ણાત હતા કે અંગ્રેજ વિદ્વાનો પણ તેમનું આ અંગેનું ઊંડું જ્ઞાન જોઇને છક થઇ જતા.
તેઓ જયારે કિશોર હતા ત્યારે એમના ઘરની સ્થિતિ એટલી નબળી હતી કે ભણવા માટે પુસ્તકો અને પહેરવા માટે કપડાં પણ ખરીદી શકાય નહિ. 
જયકૃષ્ણે ફાટેલાં કપડાં અને જૂનાં પુસ્તકોથી જ ચલાવી લીધું હતું.

એકવાર તેમને એક પોલીસ ઇન્સ્પેક્ટરનો ભેટો થયો. વાત ભેગી વાતમાંથી તેણે જયકૃષ્ણની ગરીબી જાણી લીધી. તેણે જયકૃષ્ણને કહ્યું, : ‘ગભરાઇશ નહિ, તને બધી જ આર્થિક સહાય મળી રહેશે. તારા માટે સારા કપડાં, નવાં પુસ્તકો, વાંચવા માટે અનુકૂળ જગ્યા બધું જ મળી રહેશે.’

જયકૃષ્ણે તો એમ જ માન્યું કે આ ઇન્સ્પેક્ટરના રૂપમાં સાક્ષાત ભગવાન જ મારી પાસે આવ્યા છે. જયકૃષ્ણે પૂછ્યું : “તો હું ક્યારે આવું?”

ઈન્સ્પેક્ટરે કહ્યું, “ કાલે સવારે મારી સાથે મારા ચર્ચમાં આવજે.”

“ચર્ચમાં? શા માટે?”

“તું એકવાર ખ્રિસ્તી બની જાય તો પછી તને કોઈ તકલીફ રહેશે નહિ”

“એટલે મારો ધર્મ છોડી તમારો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરું એમ જ ને?”

“હા, હવે તું બરાબર સમજ્યો.”

પણ જયકૃષ્ણે કહ્યું, : “ના, મારાથી નહિ બની શકે, સ્વધર્મ છોડીને પરધર્મ હું કદાપિ સ્વીકાર કરી શકું નહિ. હું તો મારા ધર્મમાં જ રહીશ. અમારી ગીતામાં સ્પષ્ટ લખ્યું છે કે, પરધર્મમાં જવા કરતાં નિર્ધન હોવું અને સ્વધર્મમાં નિધન(મૃત્યુ) થવું બહેતર છે. પરધર્મ અંગીકાર કરવાથી મને બધા જ સુખ મળતાં હોય તો પણ હું પરધર્મ કદી સ્વીકારીશ નહિ. મારા ધર્મમાં રહેવાથી મને ગરીબીની વિપત્તિ મળી છે તો તેને પણ હું જીવનની મહાન સંપત્તિ માની લઈશ પણ ધર્મનો કદાપિ ત્યાગ નહિ કરું.”

સ્વધર્મ પ્રત્યેની જયકૃષ્ણની આવી નિશ્ચલ નિષ્ઠા અને અનન્ય આસ્થા જોઇને પેલો ઇન્સ્પેકટર તો દંગ જ રહી ગયો.....

વાત નાની છે, સમજાય તો બહુ મોટી છે....આ ઘર-વાપસીની જે વાત-વિવાદ ચાલે છે એના સંદર્ભમાં સમજવા જેવી છે.....

Monday, January 5, 2015

'ઘર વાપસી'...... કારણ વિનાનો વિવાદ.

મા. ગો. વૈદ્ય દ્વારા,

ઉત્તરપ્રદેશના આગ્રા નગરમાં ૫૭ મુસલમાન પરિવારોએ ફરી પોતાનો મૂળ ધર્મ, હિંદુ ઘર્મ અપનાવ્યો. આ ઘટનાને લઈને સંસદમાં તથા મીડિયામાં કારણ વગર એક વિવાદ ઉભો થઇ ગયો. અનેક લોકોએ આ ઘટનાને, આ વિધિને 'ધર્માન્તર', 'ધર્મ પરિવર્તન', 'કન્વર્ઝન'નું નામ આપ્યું, પરંતુ આ ધર્મપરિવર્તન નથી. આ તો પોતાના જ સમાજમાં, પોતાના જ ઘરમાં આ લોકોનું પુનરાગમન છે. આ 'ઘરવાપસી' છે. ધર્મપરિવર્તન તો તેમનું સદીઓ/દાયકાઓપહેલાં જ થઇ ચૂક્યું હતું.

ઇસ્લામનો ભારતમાં તથા સંપૂર્ણ વિશ્વમાં પ્રસાર કઈ રીતે થયો છે તે બધાને ખબર છે. 'ઇસ્લામ' નો અર્થ 'શાંતિ' થાય છે એવું કહેવાય છે પણ ક્યાંય પણ ઇસ્લામનો ફેલાવો શાંતિપૂર્વક થયો નથી. સદીઓથી તલવારની ધાર પર જ ઇસ્લામનો પ્રસાર થયો છે.

વિચારવાની વાત એ છે કે પારસીઓને પોતાની જ જન્મભૂમિ છોડીને કેમ ભાગવું પડ્યું? રાજપૂત  મહિલાઓને જોહરની જ્વાળામાં કેમ બલિદાન આપવું પડ્યું? કાશ્મીર ઘાટીની ૫૦ લાખની મુસલમાન વસ્તીમાં ૪ લાખ હિંદુ પંડિત કેમ સમાઈ ન શક્યા? આ બધાએ જો ઇસ્લામ કબૂલ કર્યો હોય તો બચી ગયા હોત. આ ઈતિહાસ છે. 


કહેવાનો મતલબ એ છે કે આગ્રામાં જે મુસ્લિમ પરિવારોએ ઘરવાપસી કરી તેમનું ધર્મપરિવર્તન બહુ પહેલાં જ થઇ ગયું હતું. કોઈ નક્કર રીતથી થયું હશે. અ જૂની વાતની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી પણ આ બધા હિંદુ જ હતા અને હિંદુ જ છે. તેમણે 'ઉપાસના' ની પદ્ધતિ કોઈની બળજબરીના લીધે બદલી હતી, ધર્મ અને જન્મભૂમિ નહિ.  ભારતમાં આજે મુસ્લિમોની સંખ્યા ૨૦ કરોડથી પણ ઉપર છે. તેમાંથી એક ટકાથી પણ ઓછા બહારથી એટલે કે અરબસ્તાન,તુર્કસ્તાન, ઈરાનથી આવેલાઓના વંશજ હશે. બાકીના બધા મૂળત હિંદુઓ જ છે. હવે આ લોકો પોતાના પૂર્વજોના ઘર/સમાજમાં પાછા આવવા માંગે છે. આ જ 'ઘરવાપસી' છે. આ તો હિંદુઓ અને દેશ માટે આલોચનાનો નહિ બલ્કે આનંદનો વિષય છે. 

હિન્દુઓએ ક્યારેય પણ બળપૂર્વક ધર્માન્તર કરાવ્યું નથી. જો આવું ના હોત તો ઇસ્લામના પ્રસારના કારણે ઈરાનથી ભાગીને આવેલા પારસીઓ હિન્દુસ્તાનમાં પોતાના ધર્મ અને ઉપાસનાની સાથે રહી શકે નહિ. આજે એક હજાર વર્ષ પછી પણ પારસી પોતાની પરંપરા અને આસ્થા સાથે આપણા ત્યાં રહે છે. તદુપરાંત દોઢ હજાર વર્ષ કરતા પણ વધારે સમયથી પોતાની માતૃભૂમિથી છૂટા પડી ગયેલા યહુદીઓને ઈસાઈ દેશોમાં અનેક અપમાન અને યાતનાઓ ભોગવવી પડી, પરંતુ ભારતમાં તેઓ સ્વમાનપૂર્વક સુરક્ષિત રીતે રહે છે. આનું માત્ર અને માત્ર કારણ એ છે કે ભારતમાં હિંદુ બહુસંખ્યક હતા. (રહેશે? ક્યાં સુધી? )

'એકમ સત વિપ્રા બહુધા વદન્તિ'

હિન્દુઓની એક મૌલિક માન્યતા છે કે પરમાત્મા એક જ હોવા છતાં તેના નામ અનેક હોઈ શકે છે તેમ જ પૂજા કરવાના પ્રકાર પણ અનેક હોઈ શકે છે. વિવિધતાનું સન્માન કરવું એ હિન્દુઓની સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે, બળપ્રયોગ કરી અથવા લાલચ આપી પોતાની સંખ્યા વધારવામાં હિન્દુઓને ક્યારેય રસ ન હતો, આજે પણ નથી. 

પણ હા, એક પરિવર્તન જરૂર થયું છે. પહેલાં જૂનવાણી રૂઢિઓને કારણે હિંદુ સમાજમાંથી માત્ર બહાર જવાનો જ રસ્તો હતો. એક વાર ગમે તે કારણસર જો હિંદુ ધર્મ છોડો તો પાછળથી વિચાર બદલાય અને ઈચ્છા હોય તો પણ પાછા હિંદુ ધર્મમાં આવી શકાતું ન હતું. આ એકતરફી રસ્તો હતો. હવે હિંદુ સમાજે પાછા ફરવાના દરવાજા ખોલી દીધા છે. જે લોકો ગયા હોય તે પરત ફરી શકે છે. પહેલાં આર્ય સમાજે આ કામ કર્યું. હવે ઘણી સંસ્થાઓ કરે છે. આજે જેને સનાતની કહેવામાં આવે છે તેમણે પણ પોતાનામાં ઘણું પરિવર્તન કર્યું છે.

વાત વર્ષ ૧૯૬૪-૬૫ની છે. દેશના બધા જ શંકરાચાર્ય, ધર્માચાર્ય, મહંત, પીઠાધીશ, સાધુ-સંતો કર્ણાટકના ઉડુપીમાં ભેગા થયા હતા. તેમણે એક અવાજે સંપૂર્ણ હિંદુ સમાજ વતી જાહેર કર્યું હતું કે જે લોકો ગયા છે તે પાછા આવી શકે છે.

હિન્દવ સોદરા: સર્વે
ન હિંદુ: પતિતો ભવેત |

ભારત હિંદુ બહુલ દેશ છે. માટે અહીનું રાજ્ય પંથનિરપેક્ષ(Secular) છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, લીબિયા વગેરે 'સેક્યુલર' કેમ નથી? આ પ્રશ્નનો ખુલ્લા હૃદયે વિચાર કરવો જોઈએ. માટે હિંદુ સમાજથી જે લોકો કોઈ પણ કારણસર અલગ થઇ ગયા હોય અને પોતાના સમાજમાં પાછા આવવા માંગતા હોય તો તેમનું સ્વાગત કરવું જોઈએ. ઘરવાપસીનું સ્વાગત થવું જોઈએ, નિંદા નહિ.

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...