Monday, April 22, 2013

ભોળો મંત્રી

આપણે જાણીએ છીએ કે સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટની પ્રમાણિક માણસ છે, કમસેકમ આર્થિક બાબતોમાં તો ખરા! પણ એમના મંત્રાલય ઉપર લાગેલા આક્ષેપોમાંથી જો અડધો-અડધ પણ સાચા હોય તો તેનો અર્થ એ કે તેમની પ્રમાણિકતા તેમની હેઠળના પ્રશાસનને સીધું રાખવામાં નિષ્ફળ નીવડી છે. તેમની ઉતાવળી અને દીર્ઘ-દ્રષ્ટિહીન પ્રતિક્રિયા એવી છે કે સ્વદેશમાં જ બધી જ રક્ષા-સંબંધી સાધન-સામગ્રીનું ઉત્પાદન કરવાથી ભ્રષ્ટાચાર મટી જશે! લાગે છે કે એમની નજરે 'ભ્રષ્ટાચાર' એ એક વિદેશી ઉત્પાદન છે, જે આયાત રોકવાથી અટકી જશે!!!


રક્ષા-સાધનોના નિર્માણમાં સ્વદેશી  અપનાવાથી ભ્રષ્ટાચાર મટી જશે એવું ક્યાંય લખેલું કે જાણેલું નથી. આપણી રક્ષા સાધનો હસ્ત-ગત કરવાની પ્રણાલી/વ્યવસ્થા વિદેશીઓના લીધે નહિ પણ આપણા પોતાના દૂધે ધોયેલા 'પવિત્ર' બાબુઓના લીધે 'અપવિત્ર' થયેલ છે. મોટા ભાગની જવાબદારી આપણા પ્રધાન-મંત્રી અને તેમની 'રાષ્ટ્રીય સુરક્ષા ટીમ'ની છે કે જેઓએ સુરક્ષા જરૂરિયાતોને પોતે-જાતે દેખરેખ રાખવાના/નિર્ણયો લેવાના બદલે, લશ્કરના દબાણ અને આગ્રહ હેઠળ આપણને દુનિયાના સૌથી મોટા સંરક્ષણ સાધનોનો આયાતી દેશ બનાવી દીધો છે. ઉપરાંત લશ્કરના વડાઓ અને હવાઈ દળના વડાઓ (નૌકાદળના વડાઓને બાદ કરું છું!, કારણ પછી જણાવીશ) જે એવી દલીલો કરે છે કે આપણી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં છે અને માત્ર અને માત્ર તાત્કાલિક વિદેશી શસ્ત્રો ખરીદીને જ આપણે દેશને પાકિસ્તાનીઓ/ચીનાઓ/જેહાદીઓથી બચાવી શકીએ. પછી આવે છે આપણી રાષ્ટ્રીય રક્ષા-સાધનોના નિર્માણની વિશાળ ફેક્ટરીઓ/નિગમો કે જેમણે વાયદા મોટા કર્યા, કામ થોડું કર્યું અને આજ સુધી તેમની પાસે કોઈએ આટલા બધાં અધધધ રૂપિયા વેર્યા પછી પણ કેમ આટલું જ કામ થયું છે એની ચોખવટ માંગી નથી. અને છેલ્લે આવે છે ખાનગી કંપનીઓ કે જે આપણી સડી ગયેલી આવી સુરક્ષા વ્યવસ્થાને સુધારવાને બદલે તેમાં 'ગોઠવાઈ' જવામાં જ પોતાની હોશિયારી માને છે.


આ દેશ પાસે શસ્ત્ર-નિર્માણ ઉદ્યોગો માટે જરૂરી એવું બધું જ છે. - કાબેલ ઇજનેરો, સોફ્ટવેર નિષ્ણાતો, ઓદ્યોગિક એકમો જે જરૂરી કાચોમાલ પૂરો પાડે અને લશ્કર જે પ્રોજેક્ટોનું આયોજન કરે અને દેખ-રેખ રાખી શકે. પણ એક પછી એક કેન્દ્ર સરકારો એવું રાજકીય નેતૃત્વ આપવામાં નિષ્ફળ રહ્યાં છે કે જે આ બધાં પાસાઓને ભેગાં કરી  શકે. શ્રી એન્ટનીએ પોતે ખાનગી કંપનીઓ દ્વારા શોધ-ખોળ અને વિકાસ માટે ફાળવાતી નહીવંત રકમ અંગે ટીખળ કરી હતી, પણ ઇતિહાસ સાક્ષી છે કે માત્ર સરકારો પાસે જ સંરક્ષણ ઉદ્યોગ માટે જરૂરી ભંડોળ અને સંસ્થાકીય માળખાં ઘડવાની ત્રેવડ છે.

રશિયાના ઉડ્ડયન ઉદ્યોગના એક માંધાતાને મેં પ્રશ્ન કર્યો કે ભારતનો સંરક્ષણ ઉદ્યોગ કેમ આટલી કફોડી હાલતમાં છે, એમણે મને સામો પ્રશ્ન કર્યો કે રશિયા કે જે દેશ એક સરખી ઢંગની ગાડી બનાવી શક્યો નહિ તે અત્યાધુનિક યુદ્ધ વિમાનો અને હેલીકોપ્ટરો બનાવામાં કેવી રીતે સફળ થયો? મારા ઉત્તરની રાહ જોયા વગર જ તેમણે જવાબ આપ્યો કે કારણ છે મોસ્કોની વ્યૂહાત્મક દિશા અને આયોજન. ભૂખમરો, યુદ્ધ અને અન્ય તકલીફો છતાં રશિયાના નેતાઓએ એક સફળ ઉડ્ડયન ઉદ્યોગના નિર્માણ માટે જરૂરી બધાં પાસાઓને એકઠાં કર્યા. શિક્ષણ સંસ્થાઓ - જેમણે ઉડ્ડયન કળાનાં રચયિતાઓ તૈયાર કર્યા.  કચેરીઓ કે જ્યાં સુખોય, મીકોયાન, બેરીવ, ઈલ્યુશીન અને તુપોલેવ જેવા મહાન ઈજનેરોએ વિમાનોની પેઢીઓની પેઢીઓ તૈયાર કરી. વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ કે જ્યાં વિમાનમાં વપરાતાં ખાસ પ્રકારના પદાર્થો, તત્વો બનાવાયા.ઉદ્યોગનું માળખું કે જ્યાં ઊંચી-ગુણવત્તાના પાઈપો, પમ્પો અને અન્ય ભાગો બન્યા. તકનીકી સંસ્થાઓ કે જેમણે ખાસ તાલીમ પામેલા કારીગરો તૈયાર કર્યા. અને આ બધું કર્યા પછી મોસ્કોએ છેલ્લે એવું જાહેર કર્યું કે રશિયન લશ્કર માત્ર અને માત્ર સ્વદેશી હથિયારોનો ઉપયોગ કરશે.

 ભારતે તાલીમ સંસ્થાઓ,તકનીકી કારીગરો, શોધ-ખોળ અને વિકાસ માટે અપાતાં ફાળા ઉપર ધ્યાન દેવાની જરૂર તો છે જ, પણ સ્વદેશીના માર્ગે ચાલવામાં સૌથી મોટી તકલીફ છે આપણાં લશ્કરનો તર્ક - જે આપણા રાજકીય નેતૃત્વે ૧૯૬૨ના કારમા પરાજયને ધ્યાનમાં રાખીને વગર વિચારે સ્વીકારી લીધો છે. તર્ક એ છે કે યુધ્ધે ચડનાર આપણા લશ્કરને દુનિયાના શ્રેષ્ઠ શસ્ત્રો જ મળવા જોઈએ. એક પણ રક્ષા-મંત્રી કે રાષ્ટ્રીય કક્ષાના નેતાએ, ભારતની વ્યૂહાત્મક જરૂરિયાત એ છે કે સ્વદેશી શસ્ત્રોની ટૂંકા-ગાળાની ખામીઓ સ્વીકારીને લાંબા-ગાળે ક્ષમતા વિકસાવીને, સ્વદેશી શસ્ત્રોથી જ લશ્કરને સુસજ્જ કરવું જોઈએ - એવો તર્ક આપવાની રાજકીય હિંમત દાખવી નથી. થળસેના અને હવાઈ દળને એટલી પણ સમજ પડતી નથી કે વિદેશી શસ્ત્રોની ખરીદી વારે-વારે ભ્રષ્ટાચારના આરોપોના લીધે ખોરંભે પડે છે અને એના લીધે ટૂંકા-ગાળાની સમસ્યાઓનો પણ નિવેડો આવતો નથી.

અરે જો થળસેના અને હવાઈ દળ નૌકાદળના અનુભવ પરથી શીખે તોય ઘણું. એજ પ્રયોગશાળાઓ, એજ રક્ષા ઉત્પાદન એકમો અને એજ સંરક્ષણ મંત્રાલય અને રક્ષણ બજેટનો માત્ર ૧૮% હિસ્સો  મળવા છતાં નૌકાદળે સ્વદેશીમાં પ્રભુતા હાંસલ કરી છે. આજની તારીખે ૪૩ યુદ્ધ જહાજોનું દેશના વિવિધ ભાગોમાં નિર્માણ થઇ રહ્યું છે અને માત્ર ૨ જહાજો વિદેશમાં તૈયાર થઇ રહ્યાં છે. શરૂઆતના જહાજો દુનિયાના શ્રેષ્ઠ જહાજો કરતાં ઉતરતી ગુણવત્તા અને ક્ષમતાના હતા. પણ નૌકાદળે તે હસતે મોંઢે સ્વીકારી લીધું અને આજે આપણે દુનિયામાં નહિ તો કસેકમ એશિયામાં શ્રેષ્ઠ જહાજો તૈયાર કરીએ છે.

કોઈ જાતની ચોખવટ વગર થળસેના અને હવાઈ દળે આ કાચબાની જેમ ધીમે પણ મક્કમપણે આગળ વધવાની નીતિનો વિરોધ કર્યો છે. દાખલા તરીકે થળસેના આજે પણ સ્વદેશી 'અર્જુન' રણગાડીનો - અમને શ્રેષ્ઠ થી ઉતરતું કંઈ ના ખપે એમ કહીને વિરોધ કરે છે. અચરજની વાત એ છે કે તેઓ જરીપુરાણી T-72 રણગાડીનો ઉપયોગ કરવા તૈયાર છે. રશિયાની અત્યાધુનિક T-90 કે જે અર્જુન સાથે હરીફાઈમાં હારી ગઈ તોય લશ્કર અર્જુનને અપનાવતું નથી. દુનિયાનું દરેક મોટું લશ્કર આપણા નૌકાદળની જેમ નિર્માણ કરો-વાપરો-ખામીઓ શોધો-સુધારો અને આગળ વધોની નીતિ અપનાવે છે. દાખલા તરીકે ઇઝરાયેલની મેર્કાવા રણગાડીની આજે ચોથી પેઢી તૈયાર થઇ રહી છે.

શ્રી એન્ટનીએ ઊંચા અવાજે થળસેના અને હવાઈ દળને કહેવું જોઈએ કે લશ્કરી આયાતના દિવસો હવે ગયા. તેમણે કહેવું જોઈએ કે તમારી જરૂરિયાતો નક્કી કરો અને દેશમાં ઓર્ડર મૂકો. તેમણે શોધ-ખોળ સંસ્થાનો, રક્ષણ ઉદ્યોગો અને લશ્કરને એક ટેબલ પર બેસાડીને વાતો કરવાના બદલે હુકમ કરવ જોઈએ. આપણા સ્વદેશી ૬૦ તેજસ વિમાનો અને ૫૦૦ અર્જુન રણગાડીઓથી શરૂઆત કરીએ???



















 

No comments:

Post a Comment

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...